Rajput, bhagyashree2023-12-022023-12-022021-09-01http://192.168.2.196:4000/handle/123456789/176રસી એ જે-તે રોગચાળા સામે માનવ અસ્તિત્વને ટકાવી રાખનાર અગત્યનું સંસાધન છે. ઐતિહાસિક દ્રષ્ટીએ જોઈએ તો, માનવસમાજ અનેક ચેપી રોગોનો સામનો કરતો આવ્યો છે અને હાલ પણ કરી જ રહ્યું છે. આરોગ્ય જાળવી રાખવા, ચેપી રોગોનો ફેલાવો થતો અટકાવવા રસીની શોધખોળ, રસી કાર્યક્રમો, રસીકરણની જાગૃતિ, વિકાસ અને અમલીકરણ શરૂ થયું. જેથી ચેપી રોગકારક જીવાણુંઓથી માનવ શરીરને બચાવી શકાય છે. કેટલીક વાર રસીની વિઘાતક અસરો થતા નવા પડકારો ઉભા થાય છે. જેની સામાજિક-સાંસ્કૃતિક અસરો થતી જોવા મળે છે. વર્તમાન સમયમાં મોટાભાગના દેશના લોકો નોવેલ કોરોના વાયરસ મહામારીથી પીડાઈ રહ્યા છે. સમગ્ર માનવસમાજને હચમચાવી નાખનાર ‘નોવેલ કોરોના વાયરસ' મહામારી એ સમાજના બધા જ ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. ભલે તે ગરીબ હોય કે મૂડીપતિ, ઉચ્ચ વર્ગનો હોય કે મધ્યમ કે નિમ્ન વર્ગનો, શ્વેત હોય કે અશ્વેત – એમ બધા જ સમાજના લોકો પર પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે ગંભીર અસરો ઉપજાવી છે. ડિસેમ્બર ૨૦૧૯માં SARS-CoV-2 (Severe Acute Respiratory Syndrome Coronavirus 2) વાયરસના ઉદભવ તથા તેના ઝડપી ફેલાવો થવાથી વૈજ્ઞાનિકોને રસીની જરૂરિયાત જણાઈ. ભારત સરકાર દ્વારા લોકડાઉન (જનતા કર્યું) લાગુ કરવામાં આવ્યું. અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. રસી જેવી કે, કોવિશિલ્ડ, કોવેક્સીન, સ્પુટનિક-વી પ્રત્યેક નાગરિકને સરળ રીતે મળી રહે તે હેતુથી અનેક અભિયાનો ચલાવવામાં આવ્યા. રસી લીધેલ વ્યક્તિઓ અને રસી ન લીધેલ વ્યક્તિઓ પર અને સમાજના જુદા-જુદા ભાગો જેમ કે, કુટુંબ, લગ્ન, ધર્મ, શિક્ષણ, અર્થવ્યવસ્થા, ધોરણો, મૂલ્યો, પ્રથા-તહેવારો વગેરે પર અસરો થઇ છે. આથી પ્રસ્તુત લેખમાં રસી વિષયક સામાજિક- સાંસ્કૃતિક દૃષ્ટિકોણ રજૂ કરવાનો પ્રયત્ન કરેલ છે.Vaccine: Socio-Cultural Perspective